Wednesday 2 December 2015

મહાત્મા ગાંધીની માનસ દીકરી મીરાંબહેન ( ગુજરાત સમાચારમાં તા. ૨૫મી નવેમ્બર, ૨૦૧૫ના રોજ પ્રસીધ્ધ કરેલ છે.)

પદ્મશ્રી દુલા ભાયા કાગ: ગુજરાતના ઋષિ ચારણ કવિ ( ગુજરાત સમાચારમાં 25 નવેમ્બર,૨૦૧૫નાં રોજ પ્રસીધ્ધ થયેલ છે. )

પીઠના દુખાવામાં લાભદાયી ભુજંગાસન ( રોગ અને યોગ કોલમ, દિવ્યભાસ્કર કળશ પૂર્તિ તા.૨૫/૧૧/૨૦૧૫.)

ફેફસાંની કાર્યક્ષમતા વધારે પ્રાણાયામ ( રોગ અને યોગ - કોલમ દિવ્યભાસ્કર-કળશ પૂર્તિ.તા. ૦૨/ ૧૨/ ૨૦૧૫ )

http://epaper.divyabhaskar.co.i
n/magazine/kalash/58/02122015/0/7/

Thursday 29 October 2015

સિસ્ટર નિવેદિતા - દૈવી ગુણસંપત્તિનું મોઘેરું મોતી ( તારીખ 28/10/2015ના ગુજરાત સમાચારમાં પ્રકાશિત થયેલ છે.)

સિસ્ટર નિવેદિતા - દૈવી ગુણસંપત્તિનું મોઘેરું મોતી

શ્રી રામકૃષ્ણ જેમને પોતાની મા સમાન માનતા એવા ગોપાલની મા સ્વામી વિવેકાનંદને 'નોરેન' અને નિવેદિતાને નોરેનની દીકરી કહેતાં. આ 'નોરેન'ની દીકરીનું મુળ નામ માર્ગરેટ એલિઝાબેથ નોબેલ હતું.
આયર્લેન્ડમાં ૨૮ ઓક્ટોબર, ૧૮૬૭ના રોજ જન્મ. પિતા સેમ્યુઅલ એક પાદરી હોવાને નાતે ધર્મ પ્રત્યેની ઊંડી શ્રદ્ધા, દલિતોની સેવા અને બીજાના માટે જીવવું એ જ સાચું જીવન છે. એવો ઈશુના બલિદાનનો મંત્ર પિતા તરફથી મળ્યો. માતા મેરીએ સગર્ભાવસ્થામાં થતી મુંઝવણ અને ગભરાટ અને તેના કારણે આ નવજાત શિશુની સલામતી અંગે વ્યાકુળ બનતાં પ્રભુ શાંતિ અને શક્તિ આપે તે માટે આ શિશુને પૃથ્વી પર પ્રથમ શ્વાસ લીધા પહેલાં જ પ્રભુની સેવામાં અર્પિત કરી દેવાયું જે આગળ જતાં દૈવી ગુણસંપત્તિનું એક મોઘેરું મોતી બન્યું. કલા, સાહિત્ય અને સંગીતનું સારું જ્ઞાાન ધરાવતા માર્ગરેટ ૧૭ વર્ષની ઉંમરે શિક્ષિકા બન્યા. સિક્ષણકાર્ય દ્વારા વિદ્યાર્થીઓના જીવનઘડતરનો વિકાસ તો થાય પણ સાથે સાથે પોતાના જીવનનોય વિકાસ થતો રહે છે તેમ માની શિક્ષણને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું.
તેઓ માનતા હતા કે, શિક્ષકનું પહેલું કાર્ય શિષ્યની ચેતનામાં પ્રવેશ કરી અને તે ક્યાં છે અને કઈ દિશા તરફ પ્રગતિ કરે છે તે જાણવું છે. આના સિવાય કોઈ પાઠ શીખવી શકાય નહીં. તેમના મતે કેળવણી બાળકેન્દ્રી ન હોતા, સંસ્કારકેન્દ્રિત સમગ્ર વિકાસ માટેની હોવી જોઈએ.
૧૦ વર્ષની ઉંમરે પિતાના અવસાનનો ઘા... ત્યાં જ યુવાન વયે વિચારોમાં સામ્યતા અને જીવનનું સમાન ધ્યેય ધરાવતા એન્જિનિયર મિત્ર વેલ્શ યુથ સાથે વિવાહ કરી સહજીવન જીવવાની યોજના વિચારી... પણ... સગાઈ થાય એ પહેલાં જ ટૂંકી માંદગીમાં મિત્રનું અકાળે અવસાન... બીજો કારમો ઘા... ક્યાંય આશાનું કિરણ ન મળે... સામાજીક અને ધાર્મિક કાર્યોમાં મન પરોવ્યું છતાં સંતોષ ન મળ્યો.
ભગવાન બુદ્ધનું જીવનચરિત્ર વાંચતા કુમાર સિદ્ધાર્થ અને બાળ ઈશુના જીવનની સામ્યતા અને બંને મહાપુરુષોએ જગતના કલ્યાણ અને દુ :ખી લોકોના ઉધ્ધાર માટે જે સહન કરેલું જે સમજાતા હૃદયને આંશિક શાંતિ મળી.
અંતરમાં શાંતિ અને સત્યની શોધ દરમિયાન તેમનો પરિચય મહાન દાર્શનિક અને આધ્યાત્મિક ગુરૃ સ્વામી વિવેકાનંદ સાથે થયો. સ્વામીજીનો દ્રષ્ટિકોણ, વીરોચિત વ્યવહાર, આદર્શો અને સ્નેહને કારણે માર્ગરેટની જે સોચ હતી તે બદલાતા અને શ્રદ્ધાનો ઉદય થતાં મનોમન ભારતભૂમિને પોતાની વાસ્તવિક કર્મભૂમિ બનાવી, ત્રણ વર્ષ પછી તેઓ ભારત આવ્યા. સમાજ સેવા માટે તેજસ્વિતા, તપસ્વિતા અને તત્પરતા, સમર્પિતતા અને ત્યાગની ભાવનાથી પરિપૂર્ણ માર્ગરેટ આવા મહાન સંતની પરીક્ષામાંથી પસાર થયા... કુંદન સમ ઉજ્જવળ બનીને ભઠ્ઠીમાંથી નીકળ્યા !
સ્વામી વિવેકાનંદે ૨૫ માર્ચ ૧૮૯૮ના રોજ બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કરાવ્યા બાદ પોતાની શિષ્યા તરીકે સ્વીકારી નવું નામ ભગિની નિવેદિતા રાખી ભગવાન બુદ્ધના કરુણાના પથ ઉપર ચાલવાની પ્રેરણા આપી.
પાશ્ચાત્ય સંસ્કૃતિ ત્યાગી ભારતીય સંસ્કૃતિ અપનાવી કોલકતામાં વસવાટ કર્યો અને ગુરૃ પ્રેરણાથી સ્ત્રી શિક્ષાના ક્ષેત્રમાં એવા સમયે ઝંપલાવ્યું જે સમયે સમાજમાં સ્ત્રી શિક્ષાનો ફેલાવો નહિવત હતો. છોકરીઓ માટે શાળા ખોલી. જેનું ઉદઘાટન રામકૃષ્ણના જીવનસંગિની માં શારદાએ કર્યું.
નિવેદિતાએ પોતે પુસ્તકો લખી તેમાંથી થતી કમાણીમાંથી ભગિની ક્રિસ્ટીનની સહાયથી છોકરીઓની માતાઓ માટે વાંચતા, લખતાં, સીવતા ને ચિત્રકામના અલગ વર્ગો શરૃ કર્યા અને તેમાં નિવેદિતા પોતે શીખવતા.
સાથે સાથે મહિલાઓને સમજાવતા કે પશ્ચિમી દેશોની આધુનિક ફેશન, વિલાસતા તથા અંગ્રેજી શિક્ષણની અસર તળે પોતાના નિજી આદર્શો અને રહેણીકરણીને છોડવા નહિ અને ઘર કુટુંબમાં મીઠા સંબંધો રાખવા. ભારતીય પત્નીની પવિત્રતા, માતાની નિસ્વાર્થતા અને વડિલોને મળતા માનના તેઓ પેટભરીને વખાણ કરતા.
સ્વામીજી સાથે વિદેશોમાં પણ હિન્દુ ધર્મ અને ભારતીય રાષ્ટ્રીયતા વિષેના પ્રવચનો આપી ભારતીય કલા કારીગરી પ્રચલિત કરી. રેલ, કોમી હુલ્લડો, દુષ્કાળ, રોગચાળો જેવી કોઈ માનવ કે ઈશ્વરસર્જિત મુશ્કેલીઓમાં નિવેદિતા ખડે પગે હોય.
૧૮૯૯માં કોલકત્તામાં ફેલાયેલ પ્લેગ જેવા ભયંકર રોગમાં દર્દીઓની સેવા કરતાં બાગબજાર લત્તાની એકએક ઝુંપડીમાં નિવેદિતાની કરુણામય મૂર્તિના દર્શન થતા હતા. એક દર્દીના દવા-દારૃના ખર્ચને પહોંચી વળવા પોતે દૂધ પણ છોડી દીધેલું. તેઓ પ્રભુના દર્શન મંદિર-મહાદેવમાં નહિ, પણ દીન-દુ :ખીયાં લોકોની વચ્ચે કરતાં હતાં... એ જ અધ્યાત્મ ! સ્વામીજીની મહાસમાધિ બાદ પુરા સાહસ સાથે આઝાદીની લડાઈમાં સક્રિય થયા.
લોકોને વેદો અને પુરાણોનું મહત્વ સમજાવી આત્મસમ્માન જગાવ્યું. ૧૯૦૫માં બનારસમાં રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનમાં ભાગ લીધો. કોઈ અન્યાયપૂર્ણ કાયદો પસાર કરવામાં આવે તો તેની સામે વિરોધનો સૂર સૌથી પહેલા નિવેદિતાનો સંભળાતો. 'વંદે માતરમ'નું રાષ્ટ્રીય ગીત જાહેરમાં ગાવા સામે સરકારની મનાઈ છતાં એ ગીત પોતાની શાળાની દૈનિક પ્રાર્થનામાં તેઓ ગવડાવતા.
૨૦મી સદીની શરૃઆતમાં બ્રિટીશ શાસનમાંથી મુક્ત થવા અને આઝાદીની ચળવળ જોર પકડે તે માટે રાષ્ટ્રધ્વજ જેવા માધ્યમ દ્વારા તમામ દેશભક્તોને એક નેજા હેઠળ લાવવા તેમણે સૌપ્રથમ ધ્વજ રજૂ કર્યો. આ ધ્વજ સિસ્ટર નિવેદિતા ધ્વજ તરીકે ઓળખાયો. તેઓ યુવાનોને કહેતા કે, તમારા દેશનું હિત થાય તે જોવાનું એકમાત્ર ધ્યેય તમારે રાખવું જોઈએ.
૧૯૧૧ના રોજ ૪૪ વર્ષની ઉંમરે દાર્જલિંગ ખાતે હિમાલયની ગોદમાં પરમ શાંતિમાં પોઢી ગઈ. હિંદુ વિધિ પ્રમાણે અંતિમ સંસ્કાર થયો. પોતાની સંપત્તિનું વસિયતનામું કરી નાખ્યું... પાસે જે કંઈ હતું તે ભારતમાતાને ચરણે સમર્પી દીધું. શાળાના નિભાવ માટે પોતાનાં પુસ્તકોની રોયલ્ટી આપી દીધી. કન્યા કેળવણી અને નારી જાતિના ઉધ્ધાર માટે બીજું બધું રામકૃષ્ણ મિશનને આપ્યું... લોકસેવાના સંસ્કાર મૃત્યુપર્યંત જાળવી રાખ્યા.

- સતીષ શામળદાન ચારણ

Thursday 17 September 2015

પરમ કલ્યાણકારી યોગવિધા (તા.16/૦9/2015ના ગુજરાત સમાચાર માં પ્રકાશિત થયેલ છે.)


શાંતિની ઇચ્છા દરેક માણસને હોય તે સ્વાભાવિક છે. તે માટે માણસ નવા નવા સંશોધન અને પ્રયોગો કરતો રહયો છે. આ પ્રયોગો દ્વારા શાંતિનો અભ્યાસ થાય છે. પરંતુ તેનું સ્થાયિત્વ મળતું નથી. તેથી છેવટે તો માણસ વ્યથિત, વ્યાકુળ અને બેચેન છે. આ વ્યથાનું સમાધાન કોઇપણ બાહય સાધનથી શકય નથી. કારણ કે શાંતિ મનુષ્યના અંત: કરણમાં છે. આત્મામાં છે. અને આ આત્મસ્થ શાંતિ આધ્યાત્મક – સાધનાથી જ પ્રાપ્ત થઇ શકે છે.
ભારતમાં જે વિધાઓની શોધ થઇ તેમાસ્થાયિત્વ છે. પશ્વિમના વૈજ્ઞાનિકો પહેલા પ્રાણીઓ ઉપર પ્રયોગો કરે છે, તારણો કાઢે છે. આ પધ્ધતિમાં ઘણાં પરિણામો અને ઘણાં તારણો અધૂરાં રહી જાય છે. ભારતની શોધની રીત સંયમની હતી. ઋષિઓએ જયારે પણ કોઇ શોધ કરી છેત્યારે એ શોધનો જન્મ તેમની સમાધિ અવસ્થામાં થયો છે. આ સમાધિ અવસ્થા એટલે મનની એવી અવસ્થા જયાં તૃપ્તિ આવે, કયાંક દુ:ખ ન હોય, કયાંય વિયોગ ન હોય, જયાં અકારણ આનંદનો પ્રવાહ વહેતો હોય, શાંતિનું ઝરણું વહેતું હોય. સંસારિક પરિસ્થિતિ ગમે તેવી હોય, સંસારનો ભાર અનાયાસે વહન થતો હોય, બહાર ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય પણ અંદરની જયોત એવીનેએવી અવિરત રહે, શોક, વિયોગ જેવા સાધનો ક્રમશ: હલકા થાય.
તુકારામ મહારાજ કહે છે કે ’’હવે હું મોકળો છું. કોથળો થઇને પડયો છું, બધી પ્રવૃતિ પુરી થઇ.’’ તુકારામ કોથળો થઇને પડયા પણ એ ખાલી કોથળામાં પ્રચંડ પ્રેરક શકિત છે. સૂર્ય જાતે કશા હોકારો કરતો નથી, પણ તેને જોતાની સાથે પંખીઓ ઉડવા માંડે છે, જગતના જાત જાતના વ્યવહારો ચાલુ થાય છે. સૂર્ય કેવળ હોય છે. તે હોય તેટલું જ પુરતું છે.
આ સમાધિ અવસ્થા એટલે મનની સ્થિતી-મનની શાંતિ-જીવનના નવા પરિમાણમાં પ્રવેશ કરવાની ચાવી.
યોગવિધામાં આધ્યાત્મિક તત્વોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. યોગના ઉંડા ગૂઢ આકર્ષણને કારણે સમગ્ર વિશ્વમાંયોગ વિષયક જિજ્ઞાસા પ્રકટી છે. યોગ મનુષ્ય માત્ર માટે, સ્ત્રી-પુરૂષ, ગૃહી-વિરકત, બાળ-વૃધ્ધ શિક્ષિતએ સૌ બધાને માટે સમાનરૂપીથી ઉપયોગી અને સરળ છે. વિશ્વભરમાં શિક્ષિત અને બૌધ્ધિક લોકો સમજતા થયા છે કે ભયંકર પરમાણું શસ્ત્રોનું સર્જન કરનાર માનવબુધ્ધિ અને ભૌતિકતાના આડંબરમાં અટવાયેલા માનવસમાજનું કલ્યાણ યોગ દ્રારા જ થઇ શકે તેમ છે.
યોગ આધ્યાત્મિક વિજ્ઞાન છે. દરેક માનવ માત્ર એનો અભ્યાસ તેમજ અનુભવ કરી શકે છે. તે સાર્વભૌમ વૈજ્ઞાનિક તથ્ય છે. વ્યવહારિક વિજ્ઞાન છે. શરીર, મન અને આત્માના ઐકય સાથે વ્યકિત સ્વકેન્દ્રિત મટીને વિશ્વ માનવ પણ બની શકે છે. યોગનું અસ્તિત્વ ધર્મ સાથે જોડાયેલ નથી. શરીર અને મનથી અનુભવ કરવાનું વિશુધ્ધ વિજ્ઞાન છે. તેમાં ફકત અનુશાસનનીવાત છે. પરમ અને પ્રકૃતિ સાથે શરીર અને મનનું અનુસંધાન છે.
ર્ડાકટરો ગુસ્સો ઓછો કરવાની,સ્વાદ પર કાબુ લાવવાની, સ્વાર્થ ઓછો કરવાની વાતો કરે છે. પરમાર્થથી રોગ પ્રતિકારક શકિત વધે છે. આ બધી જ વાતો આપણા સાધુ-સંતો અને ધર્મમાં કરેલ છે. એટલે કે આપણા ર્ડાકટરો અને સાધુ-સંતોની ભાષા અને વિચાર શૈલી એક જ પ્રકારની થવા લાગી છે. ર્ડાકટરો અને વૈજ્ઞાનિકો Holistic approach ની વાતો કરવા લાગ્યા છે.
એક જાણીતા ભૌતિક શાસ્ત્રી ફીત્ઝોફ કાપ્રા(Fritzof kapra) કહે છે કે આપણે કુદરતી સામે સંઘર્ષની રીતનો વિજ્ઞાનમાં ઉપયોગ કર્યો તે ખોટું થયું છે. ખરેખર તો આપણો કુદરત સાથે સહકાર હોય તે માનસિક સ્વાસ્થ્યનું લક્ષણ છે. અને ચેતના મુકત થઇ જાય તે આત્મિક સ્વાસ્થ્યનું લક્ષણ છે. રોગ એટલે શરીર, મન અને ચેતના વચ્ચેનું અસામંજસ્ય. યોગ આ પૂર્ણતાનું બીજું નામ છે. પતંજલિએ યોગની ચોકકસ રૂપરેખા આપી છે અને કહે છે કે અનુભવ કરો.

ભારતમાં યોગની ચર્ચા સાવ અવળા માર્ગે ફંટાઇ ગઇ છે. ભારતના બે મુખ્ય સંપ્રદાયોના પરસ્પરના સંબંધોનો તેરસો-ચૌદસો વર્ષનો ઇતિહાસ અનેક ખાડા-ટેકરાઓથી ભરેલા માર્ગ જેવો હતો. જો કે મુળિયા એક સરખા હતા. ભારતના મોટાભાગના મુસ્લિમો ધર્મ પરિવર્તનને લીધે જ મુસ્લિમ બન્યા હતા. સંસ્કારો મોટે ભાગે સમાન હતા. પણ ઇતિહાસ બંનેને માટે હંમેશા સમાન રહયો ન હોતો. બે ત્રણ ભાષામાં સામાન્ય શબ્દ છે. ’Doni Polo.’‘Doni’ એટલે ચંદ્ર અને ‘Polo’એટલે સૂર્ય. પણ બંનેસાથે બોલો એટલે એનો અર્થ ભગવાન થાય. એટલે કે સૂર્ય અને ચંદ્ર જેણે બનાવ્યા તે એટલે કે ભગવાન. શ્રી નારાયણભાઇ દેસાઇ લિખિત ગાંધીજીના ક્રાંતિ વિધાલયમાં સવારની પ્રાર્થના તરીકે ગવાય છે તે ’Doni Polo.ઉપરથી લખાયેલ છે. પ્રકૃતિની પ્રાર્થના છે.તેમણે શિંલોગમાં ભણતા વિધાર્થીઓને પૂછયું કે આ પ્રાર્થના તમને લોકોને સમજાય છે. તો તેમણે કહયું કે હા, આ પ્રાર્થના અમારી છે. અમને લાગે છે કે એ અમારા ધર્મને સમજાવે છે. આમ, યોગ પણ પરમ અને પ્રકૃતિ સાથે શરીર અને મનનું જોડાણ છે.આમ, આ ધર્મ પ્રકૃતિનો ધર્મ છે.તેને કોઇ ધર્મ સંપ્રદાય-નાત-જાત સાથે કોઇ લેવા દેવા નથી. તે ફકત માનવ જાત માટે છે.
(તા.16/૦9/2015ના ગુજરાત સમાચાર માં પ્રકાશિત થયેલ છે.)
સતીષ શામળદાન ચારણ
મો.૯૪૨૮૨-૧૯૦૩૧


Friday 11 September 2015

અષ્‍ટાંગ યોગ - એક સમજ (તા.૦૯/૦૯/૨૦૧૫ના ગાંધીનગર સમાચારપત્રમાં માં પ્રકાશિત થયેલ છે.)


 મહર્ષિ પતંજલિએ યોગ દર્શનના પાદ-૨ના ૨૯માં સૂત્રમાં અષ્‍ટાંગ યોગની વાત કરી છે:
યમ નિયામાસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધયોડષ્ટાવડ્ગાનિ
યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્‍યાહાર, ધારણા, ધ્‍યાન અને સમાધિ...આ છે અષ્‍ટાંગ યોગ-યાત્રા. યોગ સાધના માર્ગના આ આઠ માર્ગ સ્‍તંભો (mile stones) છે. યમ, નિયમ, આસન-પ્રાણાયામની વિધિ-વ્‍યવસ્‍થા શારીરિક - માનસિક સ્‍વસ્‍થતા, વ્યવહારિક જીવન અને  મનુષ્‍યના સર્વતોમુખી વિકાસ જેવી બ્રાહય સાધના માટે જરૂરી છે. પછી આંતરિક સાધનાનો ક્રમ આવે છે. પ્રત્‍યાહારથી સમાધિ સુધીની યાત્રા...આંતરિક સાધનાની યાત્રા... મનને વશ કરવાની પ્રક્રિયા...જેને ’’સંયમ’’ નામથી સંબોધી છે. યોગની સિદ્ધિ માટે આ આઠેય અંગોનું પરિશીલન અનિવાર્ય ગણવામાં આવ્યું છે.
અહિંસા સત્યાસ્તેય બ્રહ્મચર્યા પરિગ્રહાયમા: (યોગ દર્શન પાદ-૨. સુ. 30)
(પાંચ યમ : અહિંસા, સત્‍ય, અસ્‍તેય, અપરિગ્રહ અને બ્રહમચર્ય)
અહિંસા:      બીજાની પીડા, દુ:, અસુવિધા અને અગવડનો ખ્‍યાલ રહે તેનું નામ અહિંસા. ફકત  
             શબ્દાર્થથી અહિંસાનો ભાવ શોધી શકાય નહીં તેના માટે યોગીરાજ કૃષ્‍ણ ધ્‍વારા   
              અર્જુનને આપેલ વ્‍યવહારિક શિક્ષણનો આશ્રય લેવો પડે. તેમણે સમજાવ્‍યુ છે કે ’’ કષ્‍ટ  
             ન આપવા માત્રથી અહિંસા થતી નથી. દુષ્‍ટો, દુરાચારીઓ, અન્‍યાયી અને  
             અત્‍યાચારીઓ, પાપી અને પાજીને મારવા તે પણ અહિંસા છે. બીજાના દુ:ખનો વિચાર  
             આવવો અને તેનાથી કંઇ કરુણાર્દ્ર થવું તે અહિંસા.
  સત્‍ય    :     જે વસ્‍તુ જે રૂપમાં છે તેને તેજ રૂપમાં કહેવી તે સત્‍ય. સત્‍યની આ વ્‍યાખ્‍યા અપૂર્ણ અને અસમાધાનકારક છે. સત્‍યને વ્‍યાપક અર્થમાં કહેવામાં આવે તો જેનાથી હિત થાય તે સત્‍ય અને જેનાથી અહિત થાય તે અસત્‍ય છે.
અસ્‍તેય :    ’’ ચોરી ન કરવી ’’ એ અસ્‍તેયનો સંક્ષિપ્‍ત અર્થ છે. વાસ્‍તવિક અર્થમાં ’’પોતાનો વાસ્‍તવિક હક ખાવો’’ ધર્મપૂર્વક જે વસ્‍તુ જેટલા પ્રમાણમાં પોતાને મળવી જોઈએ તેને તેટલા જ પ્રમાણમાં લાવવી.
અપરિગ્રહ:   અનાવશ્‍યક છે તેવી વસ્‍તુઓનો સંગ્રહ ન કરવો તે અપરિગ્રહ. ગાંધીજી મતે અપરિગ્રહનો સંબંધ અસ્‍તેય સાથે છે. જે ચીજ ચોરીની નથી, પણ અનાવશ્યક છે તેવી વસ્‍તુનો સંગ્રહ કરવો તે ચોરીની વસ્‍તુની માફક ગણાય. ઓછામાં ઓછી જરૂરીયાતમાં જીવવું.
બ્રહમચર્ય  : વિષય માત્રનો નિરોધ એ બ્રહમચર્ય છે. દરેક ઇન્દ્રિયને તેના વિકારોથી રોકવાનો પ્રયત્‍ન કરવો. બ્રહમચર્યનું પાલન મન,વચન અને શરીરથી થવું જોઇએ. જેમની ઇન્‍દ્રિયો પોતપોતાના વિષયોમાં દોડતી ફરતી રહે છે, તેનું મન એક જગ્‍યા પર રહી શકતું નથી, ઉચ્‍ચ ઉદેશમાં રસ પણ લઇ શકતું નથી. લાંબુ જીવન, નીરોગી શરીરની પુષ્ટતા, સુડોળતા, બળ, બુધ્‍ધિ, તેજ બુધ્‍ધિની પ્રખરતા વિગેરે શારીરિક લાભોનો પાયો ઇન્‍દ્રિય સંયમ પર રહેલો છે.

શૌચસન્તોષતપ: સ્વાધ્યાયેશ્વર પ્રણિધાનાનિ નિયમા: (યોગ દર્શન પાદ-૨. સુ. 3૨)
(પાંચ નિયમ: શૌચ, સંતોષ, તપ, સ્‍વાધ્‍યાય અને ઇશ્વર પ્રણિધાન)
   શૌચ :       શરીરની બહારની અને અંદરની શુધ્‍ધિ- મનની શુધ્‍ધિ એટલે-શૌચ. જળથી શરીરને અને સત્‍યથી મનની શુધ્‍ધિ થાય છે”. હંમેશા શરીરને ખુબ ઘસીને પાણીથી સ્‍નાન કરવું જોઇએ. પેટમાં જે મળ ઉત્‍પન્‍ન થાય છે તેનો ત્‍યાગ કરવો જોઇએ. આહાર વિહાર એવા રાખવા જોઇએ કે પેટમાં કબજિયાત ન રહે અને મળ ત્‍યાગમાં મુશ્‍કેલી ન પડે.
સંતોષ    ગમે તે પરિસ્‍થિતિમાં પ્રસન્‍નતા, ખુશી, આનંદ, અપ્રમાદ એટલે સંતોષ. અવિરત પ્રયત્‍ન કરવા છતાં પણ જે મળે તેને ઇશ્વરના પ્રસાદ તરીકે સ્‍વીકારવુ તેનું નામ સંતોષ.
   તપ:         જીવનમાં નિષ્‍ફળતા- નિરાશાઓ થકી ઉત્પન્ન થતાં દુ:ખને સહન કરવું... તપવું તે તપ. તપ એટલે આપણી મહેનત દરમિયાન ઘણી બાધાઓ – પ્રતિકૂળતાઓને ઇશ્વરીય પ્રસાદ સમજી સ્વીકારવા જેટલી શારીરિક અને માનસિક ક્ષમતા કેળવવી. તપ માણસને વધુ મજબૂત અને આંતરિક શકિતઓને તેજ કરે છે
  સ્‍વાધ્‍યાય  સ્‍વાધ્‍યાયનો અર્થ છે જાતે ભણવું...પોતાના વિશે ભણવું...સ્‍વનું અધ્યયન...ચેતના માટેનું અધ્‍યયન. આપણે કોણ છીએ ? શા માટે આ દશામાં છીએ ? શો ઉદેશ્‍ય છે ? શું કરી રહયા છીએ ? શું કરવું જોઇએ ? આ પ્રશ્નોના સંબંધમાં વિવેચન એટલે સ્‍વાધ્‍યાય. લોકો સાથેના વ્‍યવહારમાં, સંસારની ગતિવિધિઓમાં, વિશ્વની સમસ્‍યાઓ પર વિચાર કરતા રહેવું જોઇએ તે પણ એક સ્‍વાધ્‍યાય છે.
ઇશ્વર પ્રણિધાન: ઇશ્વરને પૂર્ણ સમર્પિત થઇ જવું એટલે ઇશ્વર પ્રણિધાન. ઇશ્વરને ધારણ કરવા યા ઇશ્વરને સ્‍થાપિત કરવા. જે કાર્ય કરવામાં આવે છે તે ઇશ્વર નિર્મિત છે અને પોતે નિમિત્ત માત્ર છે તેમ સ્‍વીકારવું. ઈશ્વરને પોતાની તમામ સમૃદ્ધિ નું અર્પણ .
ત્રીજુ અંગ છે: આસન
 “ સ્‍થિર સુખમ્ આસનમ્’’ અર્થાત્ એકજ સ્‍થિતિમાં સુખેથી, આરામથી અને સ્‍થિરતાથી, લાંબો સમય વખત બેસી શકાય તેનું નામ આસન.
ચોથું અંગ છે: પ્રાણાયામ પ્રાણનો આયામ
કોઇપણ આસનમાં શાંત બેસી શકીએ એટલે ઉર્જાનો વપરાશ ઓછો થાય અને તેનાથી ઉર્જાની જરૂરીયાત ઓછી એટલે શ્વાસની જરૂરીયાત ઓછી...શ્વાસ લયબધ્‍ધ થતો જાય તેનું નામ પ્રાણાયામ.
પાંચમું અંગ છે: પ્રત્‍યાહાર
ઇન્‍દ્રિઓને બહારના વિષયો, શબ્દ, સ્‍પર્શ ઇત્‍યાદિથી ખસેડીને પાછી વાળવી તેનું નામ પ્રત્યાહાર. જુદા-જુદા વિષયમાં ફરતી ઇન્‍દ્રિયોને તેમાંથી પાછી વાળીને ઇશ્વરના સ્‍મરણમાં રત કરવી.
છઠૃ અંગ છે: ધારણા
બહારના કે અંદરના, સ્‍થૂળ કે સુક્ષ્‍મ પદાર્થમાં મનને એકાગ્ર અને સ્‍થિર કરવાને ધારણા કહે છે. ધારણા એટલે એકાગ્રતા, મનને એક વિષય ઉપર લાંબો સમય બાંધી રાખવાની તાલીમ. મનને જોર જુલમથી વશ કરી શકાતું નથી. આથી ધારણામાં તેને કોઇ એક વિષય કે પદાર્થની આજુબાજુ ફરવાની છુટ અપાય છે. આમ કરતાં કરતાં મન કાબુમાં આવે છે. તેનાથી એકાગ્રતા આવે છે.
સાતમું અંગ છે: ધ્‍યાન
ધારણા ધ્‍વારા એક વિચાર કે પદાર્થ પર મનને સ્‍થિર કર્યા બાદ તે જ વિચાર કે પદાર્થમાં એકાકાર થવાનું તેને ધ્‍યાન કહે છે. આમ, ધ્‍યાન એ કોઇ પ્રવૃતિ નથી પણ સ્‍થિતિ છે. ધારણા, ધ્‍યાન અને સમાધિ એ એક બીજાના પુરક છે.
આઠમું અંગ છે: સમાધિ
ધારણા અને ધ્‍યાનના ફળરૂપે જે પ્રકાશ પ્રજવલિત થાય તે સમાધિ... મન જયારે પોતાના સ્‍વરૂપનો ત્‍યાગ કરી સંકલ્‍પ - વિકલ્‍પ રહિત થઇ કેવળ ધ્‍યેય સ્‍વરૂપમાં સ્‍થિત થાય છે તે અવસ્‍થાને સમાધિ કહે છે. ત્‍યારબાદ કંઇ મેળવવાનું કે જાણવાનું રહેતું નથી.

(તા.૦૯/૦૯/૨૦૧૫ના ગાંધીનગર સમાચારપત્રમાં માં પ્રકાશિત થયેલ છે.)
    સતીશ શામળદાન ચારણ

   (M) ૯૪૨૮૨ ૧૯૦૩૧                                 sscharan_aaa@yahoo.co.in

યોગ - અંદરના અંધારા ઉલેચવાની પ્રકાશમય વાત (તા.૦૧/૦૯/૨૦૧૫ના ગાંધીનગર સમાચારપત્રમાં માં પ્રકાશિત થયેલ છે.)


શાંતિની ઇચ્છા દરેક માણસને હોય તે સ્વાભાવિક છે. તે માટે માણસ નવા નવા સંશોધન અને પ્રયોગો કરતો રહયો છે. આ પ્રયોગો દ્વારા શાંતિનો અભ્યાસ થાય છે. પરંતુ તેનું સ્થાયિત્વ મળતું નથી. તેથી છેવટે તો માણસ વ્યથિત, વ્યાકુળ અને બેચેન છે. આ વ્યથાનું સમાધાન કોઇપણ બાહય સાધનથી શકય નથી. કારણ કે શાંતિ મનુષ્યના અંત: કરણમાં છે - આત્મામાં છે. અને આ આત્મસ્થ શાંતિ આધ્યાત્મિક  – સાધનાથી જ પ્રાપ્ત થઇ શકે છે.
આજના યંત્ર યુગમાં વિદ્યાર્થીગણ પણ તનાવ-યુક્ત થઇ રહ્યો છે. એડમિશન, પરીક્ષા, પરીણામ, ઇતરપ્રવૃતિ, ટ્યુશન કલાસીસ વિગેરે વિગેરે બાબતો જાણે-અજાણ્યે તણાવ તરફ લઇ જઈ રહયા છે. બીજી તરફ જોઈએ તો વ્યક્તિત્વ વિકાસ માટે ઉપરોક્ત સઘળી પ્રવૃત્તિ આવશ્યક પણ છે. તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે તણાવ વગર શાંત-ચિત્તે આ તમામ પ્રવૃત્તિઓને કૌશલ્ય પૂર્વક કેવી રીતે પાર પાડવી????? .
કોઇ પણ કાર્યને સંપન્‍ન કરતા પહેલા શરીર અને મનનું નીરોગી અને સ્‍વસ્‍થ હોવું જરૂરી છે. એટલે કે પહેલા બહારની સ્‍થૂળ સફળતા પ્રાપ્‍ત કરવી જોઇએ અને પછી જ આંતરિક આત્‍મિક ઉન્‍નતિ સાધના તરફ આગળ વધવું જોઇએ. જે લોકો શરીરને બિમાર, વ્‍યસની, જર્જરીત તથા આળસુ બનાવી રાખે છે. મનને  કુવિચારી, જડ, નિષ્ઠુર તેમજ ઉજજડ રાખે છે તેમના માટે મહત્‍વપૂર્ણ કામોમાં સફળતા પ્રાપ્‍ત કરવી મુશ્‍કેલ છે
તેના ઉપાય માટે યોગ જેવું ઉત્તમ અન્ય કોઈ નથી. યોગ બાળકો, યુવાનોના શારીરિક અને માનસિક વિકાસ માટે જડી બુટ્ટી સમાન છે. યોગ એ નિયમિતતા, વ્યસનમુક્તિ, એકાગ્રતા તેમજ યુવા વર્ગના અન્ય પ્રશ્નો (Adolescent health) માટે ખુબજ ફાયદાકારક છે. યોગ કે યોગાસનોનું ધ્યેયમાત્ર શારીરિક સ્વાસ્થ્ય નથી પરંતુ તે તેની ઉપ-પેદાશ (by-product) છે. જીવનના તમામ ક્ષેત્રોમાં એકાગ્રતા ખુબ જ જરુરી છે જે ભલે ક્રિકેટર હોય કે માથે બેડું લઇ પાણી ભરવા જતી સ્ત્રી હોય!. વિદ્યાર્થીઓ માટે તો એકાગ્રતા એ મહામુલી મૂડી છે. યોગ એકાગ્રતા અને યાદ શક્તિમાં આપોઆપ જ સુધારો અને વધારો કરી તેની સુષુપ્ત શક્તિઓ બહાર લાવી વૈજ્ઞાનિક ઢબે વ્યક્તિત્વ વિકાસ દ્વારા સંપૂર્ણ માનવ બનાવે છે. અભ્યાસમાં રુચી વધારે છે. આમ, યોગના કારણે વ્યકિતનો શારીરિક, માનસિક, બૌધિક અને ભાવનાત્મક શક્તિઓનો સંતુલિત વિકાસ અને પરિણામે આધ્યાત્મિક કક્ષાએ વિકાસ શક્ય બને છે. પરિણામે, તે આજના ટેકનોલોજીનાં યુગમાં ઝડપથી બદલાતા સમાજની સમસ્યાઓનો પડકાર ઝીલવા શક્તિમાન બને છે. વિદ્યાર્થી જીવનના સુર્વણ કાળની સાચી સાચવણી માટે યોગ આવશ્યક અને ઉચિત માધ્યમ છે.
સ્વામી વિવેકાનંદજીએ  કહ્યું છે કે “ઈશ્વર પ્રાપ્તિ માટે મંદિરમાં જવાની જરૂર નથી. પરંતુ કાર્યને સંપુર્ણ મન લગાવીને કુશળતાથી કરીશું તો પણ ઈશ્વર પ્રાપ્તિ થશે.”
ભૂતકાળના અનુભવોનો ઉપયોગ કરી વર્તમાનમાં રહી દરેક કાર્ય કુશળતાથી અને ફરજ સમજીને કરવું તે યોગ છે.તે કુશળતા લાવવામાં અને સફળ થવામાં મદદ કરે છે.
યોગવિધામાં આધ્યાત્મિક તત્વોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. યોગના ઉંડા ગૂઢ આકર્ષણને કારણે સમગ્ર વિશ્વમાં યોગ વિષયક જિજ્ઞાસા પ્રકટી છે. યોગ મનુષ્ય માત્ર માટે, સ્ત્રી-પુરૂષ, ગૃહી-વિરકત, બાળ-વૃધ્ધ શિક્ષિતએ બધાને માટે સમાનરૂપથી ઉપયોગી અને સરળ છે. વિશ્વભરમાં શિક્ષિત અને બૌધ્ધિક લોકો સમજતા થયા છે કે ભયંકર પરમાણું શસ્ત્રોનું સર્જન કરનાર માનવબુધ્ધિ અને ભૌતિકતાના આડંબરમાં અટવાયેલા માનવ સમાજનું કલ્યાણ યોગ દ્રારા જ થઇ શકે તેમ છે.
યોગ આધ્યાત્મિક વિજ્ઞાન છે. દરેક માનવ માત્ર એનો અભ્યાસ તેમજ અનુભવ કરી શકે છે. તે સાર્વભૌમ વૈજ્ઞાનિક તથ્ય છે. વ્યવહારિક વિજ્ઞાન છે. શરીર, મન અને આત્માના ઐકય સાથે વ્યકિત સ્વકેન્દ્રિત મટીને વિશ્વ માનવ પણ બની શકે છે. યોગનું અસ્તિત્વ ધર્મ સાથે જોડાયેલ નથી. તે શરીર અને મનથી અનુભવ કરવાનું વિશુધ્ધ વિજ્ઞાન છે. તેમાં ફકત અનુશાસનની વાત છે. આધુનિક વૈજ્ઞાનિક સંશોધનોએ સિદ્ધ કર્યું છે કે શારીરિક, માનસિક અને નૈતિક સ્વાસ્થ્ય માટે તેમજ સૌદર્ય, મૌલિક સર્જન અને વ્યક્તિક્ત્વના ઉત્તમ વિકાસ માટે યોગ પૂર્ણ પદ્ધતિ છે. તેમજ  વ્યક્તિ અને સમાજ જીવનનો તે કાયાકલ્પ કરે છે.
શરીર, ઇન્દ્રિયો, મન, લાગણીઓ, ઈચ્છાઓ, વિચારો વિગેરે ઉપર કાબુ લાવવો એટલે યોગ…ર્ડાકટરો ગુસ્સો ઓછો કરવાની, ચિંતા ના કરવાની , સ્વાદ પર કાબુ લાવવાની, સ્વાર્થ ઓછો કરવાની વાતો કરે છે. પરમાર્થથી રોગ પ્રતિકારક શકિત વધે છે. આ બધી જ વાતો આપણા સાધુ-સંતો અને ધર્મમાં કરેલ છે. એટલે કે આપણા ર્ડાકટરો, વૈજ્ઞાનિકો અને સાધુ-સંતોની ભાષા અને વિચાર શૈલીમાં સામ્યતા વર્તાવા લાગી છે. ર્ડાકટરો અને વૈજ્ઞાનિકો Holistic approach ની વાતો કરવા લાગ્યા છે.
.-------------------------------------------------------------------------------------------------------
આપણા ર્ડાકટરો, વૈજ્ઞાનિકો અને સાધુ-સંતોની ભાષા અને વિચાર શૈલીમાં સામ્યતા વર્તાવા લાગી છે. ર્ડાકટરો અને વૈજ્ઞાનિકો Holistic approach ની વાતો કરવા લાગ્યા છે.
-------------------------------------------------------------------------------------------------------
માનસશાસ્ત્ર અને શરીરશાસ્ત્રની સંકલ્પનાઓ અને તેની પદ્ધતિઓ અમુક બાબતોમાં વિજ્ઞાનથી પણ આગળ છે. દા.ત.ચેતાતંત્ર પર નો કાબુની બાબતમાં યોગની દેન અદ્વિતીય છે.
યોગ એ પરમ અને પ્રકૃતિ સાથે શરીર અને મનનું અનુસંધાન છે....એક જાણીતા ભૌતિક શાસ્ત્રી ફીત્ઝોફ કાપ્રા (Fritzof kapra) કહે છે કે આપણે કુદરત સામે સંઘર્ષની રીતનો વિજ્ઞાનમાં ઉપયોગ કર્યો તે ખોટું થયું છે. ખરેખર તો આપણો કુદરત સાથે સહકાર હોય તે માનસિક સ્વાસ્થ્યનું લક્ષણ છે. અને ચેતના મુકત થઇ જાય તે આત્મિક સ્વાસ્થ્યનું લક્ષણ છે. રોગ એટલે શરીર, મન અને ચેતના વચ્ચેનું અસમંજસ્ય. યોગ આ પૂર્ણતાનું બીજું નામ છે. ‘યોગ કોઇ ધર્મ નથી. યોગ હિન્દુ યા મુસ્લિમ નથી. યોગ એક વિશુદ્ધ્ વિજ્ઞાન છે.’
શારીરિક સ્‍વાસ્‍થ્‍ય માટે વિજ્ઞાન ધ્‍વારા રોજ-બરોજ નવું નવું સંશોધન થાય છે. એક રોગ મટાડવા માટે સેંકડો દવાઓનું સંશોધન કરી રહેલ છે. તેમ છતાં રોગ ઓછા થવાને બદલે અન્‍ય રોગ પેદા થાય છે. દવાઓ રોગોને ખાતર તરીકેનું કામ કરી રહેલ છે. યોગ ધ્‍વારા વગર દવાએ શરીરને સ્‍વસ્‍થ રાખી શકાય છે. તેનાથી રોગ પ્રતિકારક શકિત વિકસે છે. તે શરીરના દરેક અવયવોને સ્‍ફ્રૂર્તિલા અને ઓજસ્‍વી બનાવે છે. યોગ શરીર સુધી સીમિત  નથી. પરંતુ તે મન અને ચેતનાને શુધ્‍ધ સ્‍વરૂપમાં પ્રસ્‍થાપિત કરે છે. આધુનિક યુગમાં વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા (WHO) પણ શારીરિક, માનસિક, સામાજિક અને આધ્‍યાત્‍મિક સ્‍વાસ્‍થ્‍યને જ પૂર્ણ સ્‍વાસ્‍થ્‍ય માને છે. આ રીતે જોઇએ તો કોઇ પણ વ્‍યકિત પૂર્ણ સ્‍વસ્‍થ નથી પરંતુ એ માટે પ્રયાસ કરી શકાય છે. યોગ વડે ચિત્તની, વ્યાકરણ વડે વાણીની અને આયુર્વેદ વડે શરીરની શુદ્ધિ થાય છે તેવી આ વિદ્યાની મહર્ષિ પતંજલિએ ચોકકસ રૂપરેખા આપી છે, એ કોઇ કાલ્પનિક કહાણી નથી કહેતા અને કહે છે કે “અનુભવ કરો.” યોગનો માર્ગ અનુભવનો માર્ગ છે. જેના માટે નિષ્‍ઠા, નિરંતરતા અને સજાગતા આવશ્‍યક છે.

(તા.૦૧/૦૯/૨૦૧૫ના ગાંધીનગર સમાચારપત્રમાં માં પ્રકાશિત થયેલ છે.)
સતીષદાન શામળદાનજી ચારણ
(મો.)94282 19031
sscharan_aaa@yahoo.co.in

Friday 28 August 2015

ઝવેરચંદ મેઘાણી – કહેણી, કાવ્ય ને કંઠનો વાણિયો વેપારી


‘ પાંચાળનું ધાવણ ’, ‘ પહાડનું બાળક ’ , ‘ લાઇન બોય ’, ‘વિલાપી ’ , ‘ભણેલા અને અભણ – એ બેને સાંકળી શકે તેવા રાષ્ટ્રીય શાયર ’ , ‘ભેદની ભીંત્યુંને ભાંગનાર ’ , એવા ઝવેરચંદ મેઘાણીનું જન્મ સ્થળ ચોટીલા. જન્મ વર્ષ: તા. ૨૮ ઓગષ્ટ ૧૮૯૬. શ્રાવણ વદ પાંચમ: નાગ પાંચમ. માતા ધોળીબાઈ અને પિતા કાળીદાસ દેવચંદ મેઘાણી. દશા શ્રીમાળી જૈન વણિક કુટુંબમાં જન્મ. મેઘાણી કુટુંબ મૂળ રહેવાસી બગસરાનું. પિતાની બ્રિટીશ કાઠીયાવાડ એજન્સી પોલીસમાં નોકરી. ભણવામાં પહેલો નંબર, શરમાળ, ઓછા-બોલો કિશોર, પણ પ્રાર્થના એ જ ગવડાવે. જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાવાની એને રઢ. પિતાની થાણે થાણે થતી બદલીઓના કારણે ઝવેરચંદ મેઘાણીએ બાળપણમાં જ ગામે ગામના પાણી પીધેલા અને તેને કારણે જ કાઠીયાવાડની જૂની વિરજાતીઓનાં રીત-રિવાજોની ખાસિયતો, ખૂબીઓ વગેરે માહિતી, ચારણો પાસેથી સાંભળેલી વાતો, હૂહૂ ! હૂહૂ ! ભૂતનાદ કરતા પવનના સુસવાટા, ઘરડા ખેડું દુહાગીરોના દુહાસંગ્રામ, ફાગણી પૂનમની હુતાશાણીના ભડકા ફરતા જુવાનો – વિગેરે દ્વારા ભિન્ન ભિન્ન જાતના સાહિત્યના પ્રવાહના  સંસ્કાર પડ્યા. મેઘાણીના આ પ્રવાહને કળનાર હડાળાનાં દરબાર વાજસુર વાળા. કથાવાર્તાના કોઠા સામતભાઈ ગઢવીને યાદ કરી કરીને વાજસુર વાળા પોતાની શાંત શૈલીમાં માંગડા ભૂતની, ચાંપરાજવાળાની વાર્તા કહે. દુહા ટાંકતા જાય, કલાપીની ઘણી અપ્રગટ રચનાઓ સંભારે. એમની પ્રેરણા પછી જુના સોરઠીકાળને પ્રેમપૂર્વક તપાસવાની સાથે ઓળખવાની પ્યાસ મેઘાણીભાઈને સતાવી રહી...પૈસાથી નહિ પણ અભિરુચિ વડે, રસદ્રષ્ટિ વડે... આ એમની લોકસાહિત્યની દિક્ષા. લોકગીતોની લગની પોરબંદરના બરડા મહાલના બગવદર ગામની એક મેરાણી બહેન ઢેલીએ લગાડી....એ મેઘાણીના લોકગીતપ્રેમી પ્રાણની જનેતા. જીવનસંસાર પરની કાતિલ અને કરુણ વિવેચના આપતા એ ગીતો માંહેલુ ‘ વહુવે વગોવ્યા મોટાં ખોરડાં ’આજે પણ ઘેર ઘેર જાણીતું છે. મેઘાણીના માતા પણ મધુર કંઠથી રાસડા ગાતા.
૧૯૧૬માં અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓ સાથે બી.એ.થયા. અભ્યાસ દરમિયાન લોકસાહિત્યનો ખ્યાલ નહોતો. પણ નન્હાલાલ અને કલાપીના સાહિત્યે તેમનામાં વ્યક્તિત્વ અને સાહિત્યમાનસ ઘડવામાં મહત્વનો ભાગ ભજવ્યો. કલાપીના કાવ્યો એવી દર્દભરી રીતે ગાય કે સૌના હૃદય સાથે સુક્ષ્મ સંબંધો બંધાતા ! વાતાવરણમાં મોહક કરુણતા પ્રસરતી. ગીત પૂરું થતાં સૌ એકાદ મિનીટ નિ:શબ્દ બેસી રહેતા.. મિત્રો એમને ‘ વિલાપી ’ કહેતા. ૧૯૧૭માં કલકત્તા અલ્યુમિનીયમના કારખાનામાં મેનેજર તરીકે અઢી-ત્રણ વર્ષ ખુબ જ સંતોષકારક કામ કર્યું એ દરમિયાન વિલાયતનો પ્રવાસ પણ કર્યો. કલકત્તામાં રહી બંકિમચંદ્રની નવલકથાઓ, દ્વિજેન્દ્ર રામના નાટકો, રવિબાબુ વગેરેનું વાંચન કરતા બંગાળી ભાષા શીખ્યા. નોકરી ખુબ સારી અને ભવિષ્યમાં  મોટો ફાયદો આપે તેવી હતી. પણ સ્વભાવે સાહિત્યરસિકના કારણે કોણ જાણે કેમ કાઠીયાવાડની વનપ્રકૃતિ અને જનસંસ્કૃતિ જાણે તેઓને બોલાવતી હોય તેમ તેઓ કલકત્તાથી પાછા ફર્યા. કાઠીયાવાડમાં દિશા શુન્ય હતા. બે ત્રણ લેખો કોઇપણ ઉદ્દેશ વગર ‘સૌરાષ્ટ્ર’ પત્રમાં લખી મોકલ્યા. અમૃતલાલ શેઠનું ધ્યાન ખેચાયું તેમને છાપાની પ્રવૃતિઓની સાથોસાથ સાહિત્ય પ્રવૃત્તિ ખોલવી હતી. એનું પ્રથમ ફૂલ ‘ કુરબાનીની કથાઓ.’ લોકસાહિત્યના શ્રી ગણેશ થોડા સમય બાદ ‘સૌરાષ્ટ્રની રસધારા’ થી થયા.
૧૯૨૨માં તેઓ ‘ સૌરાષ્ટ્ર ’ માં પત્રકાર તરીકે જોડાયા. પણ આ તો સાહિત્યરસના માણસ..એટલે પત્રકારત્વ વેરણ લાગ્યું. ચોથા વર્ષે ‘ સૌરાષ્ટ્ર ’ ના પત્ર સંપાદનમાંથી મુક્તિ. ‘ ફૂલછાબ ’ જોડાયા, પણ ‘ ફૂલછાબ ’ ને સૌરાષ્ટ્રનાં રજરંગોમાં ઝબકોળવાનું શરુ થતાં તેમાંથી તે ખસી ગયા. મુંબઈ આવી સિનેમાના ધંધામાં ઉતારવાનું વિચાર્યું. તે દરમિયાન અમૃતલાલ શેઠના ‘ જન્મભૂમી ’ના દૈનિક સંપાદનમાં જોડાયા. તેઓ લખે છે: “ તેમણે મારી ઝીણી બત્તી અજવાળી શકે તેટલા પૂરતો જ સાહિત્ય ખૂણો પકડવાની અનુકૂળતા કરી આપી.”
સાહિત્યને સંપાદન કરવું એટલે તો લંકાથી હેમ લાવવા જેવું કઠણ છે. એવા દોયલા કામને મેઘાણીએ સોયલું કેમ કરેલું! દિવસના દિવસો, રાતોની રાતો ચારણો સાથે એ વસેલા. ચારણી સાહિત્યના કેટલાક શબ્દાર્થો ચારણ કવિઓ અને વૃદ્ધો પણ ન સમજતા; એના સાચા અર્થ મેઘાણીએ કરેલા છે. હજુ સુધી ચારણી વાર્તા અન્ય કવિઓ માંડી શકતા નથી એવી રીતે એ વાર્તા માંડી શકતા હતા. રાજકોટ મુકામે અખિલ હિંદ ચારણ સંમેલનમાં બધાના આગ્રહથી મેઘાણીએ  મારવાડી ગીતથી શરુ કર્યું. બરાબર પોણા બે કલાક કોઈએ હોકાની ઘૂંટ ન ખેચી. હોકા ઓલવાઈ ગયા. મોવાળો ફરકે તોયે રસભંગ થાય એવી તન્મયતાથી સૌ સાંભળી રહેલા. લીંબડી કવિરાજશ્રી શંકરદાનજી તો ઉભા થઇ એમને ભેટી મનનો પોરસ ઠાલવતાં બોલી ઉઠે છે : ‘ કળજગ ! બાપ, કળજગ ! અમે બે હજાર સરસ્વતીપુત્રો અહીં બેઠા છીયે, ને તું વાણીયાનો દીકરો બબ્બે કલાક સુધી અમારી જ મહુવરના નાદે અમને ડોલાવ્યા કર છ. એને કલજગ નંઇ તો બીજું શું વદું? રંગ છે , તને – મેઘાણી ! ‘
મેઘાણીએ કહ્યું કે “ મુરબ્બી! આ તો આપનું જ છે. હું તો ચારણોનો ટપાલી છું; બધે પહોચાડું છું.”
તેઓ કોઇ પર પોતાના પૂર્વગ્રહો થોપતા નહીં કે મુરબ્બીવટ દાખવતા નહીં બલકે વડીલમિત્રની માફક ગોઠડી કરતા.
કવિ કાગ લખે છે કે:           સુતા જઈ સ્મશાનમાં એની તેઁ સોડ્યું તાણી;
                     વેધુ જીવાડયા વાણીયા, તે કંઈક મડદાં મેઘાણી!
એમણે કબર ખોદી કાઢીને મૈયાતોને ઉઠાડ્યા અને જીવાડયા. મસાણોમાં મુડદાંએ હોંકારા દીધા. સ્મશાનમાં જઈને પોકારે કે ‘ ભારત માતાની...તો જવાબ આપવા મૃતદેહો પણ ઉભા થઇ જતા. પ્રેતોને એમણે કપડાં પહેરાવ્યા. એ પ્રેત નથી, નીચા નથી, લુચ્ચાં ને હરામખોર નથી, એમ સાબિત કરી જગતના ચોકમાં ઉભા રાખ્યા.
ગોપીનાથથી થી તુલસીશ્યામનો રસ્તો...દરિયાકાંઠાના ગામડા..મહુવા બંદર..ત્યાં એક સિત્તેરેક વર્ષના ડોશી પાકલ ઇંટો વાહનમાં ચડાવે. તેમની સાથે વાતચીત કરતાં ડોશીમાએ જણાવ્યું કે મારો એકનો એક દિકરો મહુવાના વેપારીનું વહાણ લઇ જતાં બે’ક મહિના અગાઉ વહાણ બૂડી ગયાથી મરેલો. મેઘાણીભાઈએ પૂછ્યું કે “તમે તમારી આજીવિકા માટે  શેઠ પાસે કેમ ન ગયાં ? ”
ડોશીમાએ કહ્યું “ ભાઈ ! ” મારું તો કાળું મોઢું થયું. શેઠનું વહાણ મારા દીકરાને હાથે બુડ્યું. હવે શુ મોઢું લઈને એની પાસે માગવાં જાઉં !” ડોશીમાના આ શબ્દો સાંભળતાં મેઘનીભાઈ છાતી પકડીને બેસીને રોયા. બોલ્યા કે દુલાભાઈ !. આ મચ્છીમાર કોળી ને પેલા વૈષ્ણવ વાણિયા- બેમાં કોણ ખાનદાન !”.
દુલાભાઈ સાક્ષી અને તેમની સગી આંખે દેખેલ અને ખુમારીનું શિક્ષણ આપતી ચારણ કન્યાની વાત... “ તુલશીશ્યામથી બે ગાઉ ખજુરીનો નેસ...એક ચારણબાઈ - હીરબાઈની વોડકીને સાવજે પાદરમાં જ પાડી..મરેલી વોડકી પર ચડીને હીરબાઈ એ વખતે સાવજ સામે સોટો વીંઝતી હતી...સાવજ બે પગે સામો થઇ હોકારા કરતો હતો...બાઈએ વોડકી ખાવાના દીધી..એ વખતે    ‘ ચારણ- કન્યા ’ ગીત મેઘાણીભાઈ કાગળ- કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઉઠ્યું. આંખો લાલ ધ્રમેલ ત્રાંબા જેવી થઇ ગઈ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા..અમે એમને માંડમાંડ પકડી રાખેલા.”
‘શિવાજીનું હાલરડું’ તેમણે ‘આજ’ ની નિશ્ચિતતા સામે ‘કાલ’ની અનિશ્ચિતતા તોળી તોળીને કાવ્યક્ષણને સર્જનાત્મક ભાવમાં રુપાંતરિત કરી છે.
                          ” આજ માતા ચોડે ચૂમિયું રે બાળા જિલજે બેવડ ગાલ
                            કાલે તારાં મોઢડાં માથે ધુંવાધાર તોપ મંડાશે...શિવાજી.”
બાળકાવ્ય ચારણ કન્યા... અને શિવાજીનું હાલરડું... મેઘાણીના આવાં કાવ્યો ભણતરમાં આવે તો ભય ગ્રંથિઓ તૂટે.
‘ ચારણકુલ મારું તીર્થ છે.’ તે દ્વારા તેમણે ચારણ અને ચારણી સાહિત્યનો મહિમા દર્શાવ્યો છે.
ઈંગ્લેન્ડ, ગ્રીસ અને રોમની તાવારીખોની જોડે બેસે તેવી ઘટનાઓ આ સૌરાષ્ટ્રની ભૂમિ પર બનેલ છે; અને તેટલા માટે તેઓ શાળા કોલેજના અભ્યાસક્રમોમાં આ પ્રતાપી ભૂતકાળને સ્થાન અપાવવા માંગતા હતા. સૌરાષ્ટ્રના ગત ગૌરવને હંમેશને માટે લિપિબદ્ધ કરી નવીન સૌરાષ્ટ્રને પોતાની વાર્તા-નવલકથા દ્વારા એના ચહેરાનું દર્શન કરાવ્યું.
ટેનીસનનું લખેલું રણ-ગીત: ’ ચાર્જ ઓફ ધ લાઈટ બ્રિગેડ’. રશિયાની ધુંવાધાર તોપો સામે ! અંગ્રેજોના છસો વીર ઉઘાડી તલવારે દોડ્યા. તોપોના ગોળાના વરસાદ વચ્ચે છસોય વીર વીંધાઈ ગયા. બ્રિટનના બાળકો એ ગીતમાંથી બલિદાન મંત્રો રટે છે. આજ ઘટના ભાવનગરમાં બની. છસો નહિ, અરે છયે નહિ પણ એક વીર:જાદવ ડાંગર. એકલે હાથે દોડીને એણે કાઠીઓની તોપોના કાં બુરી દીધા..કોઈ ગુર્જર ટેનીસન પ્રગટ થશે ત્યારે જાદવ ડાંગરના નામનું પણ એક રણ-ગીત આપણી શાળાઓમાં ગાજવા લાગશે.
ગ્રીસનો બળવાન બાંધવ પ્રોમીથિયસ સ્વર્ગનો અગ્નિ લાવી માનવીઓને પોતાના રક્ષાણાર્થે અગ્નિ વડે અસ્ત્રોશસ્ત્રો બનાવતા શીખવ્યું. પાછળથી અમરરાજે પોતાનું સિંહાસન ડોલતું દેખાતા પ્રોમીથિયસને બંદી બનાવી પહાડ ગુફાઓમાં વસતા ગરુડો-ગીધોને તેનું માંસ ખાવા દીધું પણ તેણે વેદનાના ચિત્કાર કરીને પોતાનો માનવ પ્રતાપ લજવા ન દીધો. આવો જ સોરઠી માનવ માણશિયાવાળો...પિતરાઈઓના પાપે કોઠામાં પુરાયેલ એણે સ્વ-હસ્તે પોતાના સાથળ કાપીને સમળીઓને ઉજાણી કરાવી દેહ પાડી દીધો...
મેઘાણીભાઈ સીતા અને સાવિત્રીના સતીત્વને તો સીધાં અને સુગમ્ય કહે છે. પણ સોરઠી સંસ્કૃતિનું સતીત્વ એટલે તો સાંઈ નેસડીનું, દાંત પાડી નાખનાર કાઠીપાણીનું અને નાગજણ ચારણની સ્ત્રી (મરશિયાની મોજ) નું સમસ્યાભર્યું ને જટિલ સતીત્વ: એનો તાપ આપણાથી ઝીલાતો નથી- મતિને મુંઝવી નાથે છે અને તેથી જ એને પચાવવાની પ્રબળ કલ્પનાશક્તિ જોઈએ છે.
માનવી માનવી વચ્ચેની ઈશ્વરદત્ત સમાનતા અને બંધુતાના સિધ્ધાંત પર બાર બાર વીરોનું નિરાભિમાની બલિદાન : ‘અણનમ માથાં’ – પાતશાહી ફોજની ગલોલીઓ છુટી...ઢાલોને વીંધીં સીસાં સોંસરવા ગયાં. નવરાતના ગરબા બનીને અગિયાર ભાઇબંધો જુધ્ધમાંથી બહાર નીકળ્યા...કોઇ એક પગે ઠેકતો...કોઇ આંતરડા ઉપાડતો...કોઇ ધડ હાથમાં માથું લઇને... એમ અગિયાર જણા પોતાની કાયાનો કટકે કટકો ઉપાડીને કુંડાળે પહોંચ્યા...પછી વીસળે છેલ્લી વારનો મંત્ર ભણ્યો : “ ભાઇબંધો, સુરાપરીનાં ધામ દેખાય છે. હાલી નીકળો !”સહુ બેઠા... લોહીનો ગારો કરીને સહુએ અક્કેક-બબ્બે પિંડ વાળ્યા...ઓતરાદાં ઓશીકા કર્યા... અને સામસામા રામરામ કરી, અગિયારેય જણા પડખોપડખ પોઢ્યા... અને બારમો - એક બાકી રહેલ મિત્ર કોઈ સતીની માફક પોતાના મિત્રની ચિતામાં શરીર હોમે... આ બનાવ મેઘાણીભાઈના સાહિત્ય સિવાય દુનિયામાં હજું શોધાયેલ નથી.
મહાત્મા ગાંધી બીજી ગોળમેજી પરિષદમાં જવાના હતા તેના એક કલાક પહેલા ‘ છેલ્લો કટોરો ’ રચી દોડીને ગાંધીજીને આપ્યું. પાછળથી ગાંધીજીએ વાંચ્યું અને નોધ્યું કે: “ આ કવિતા તો મારા મનનનાં જ વિચારો   છે, તે મારા હૃદય સોસરવી ઉતારી ગઈ છે.” તરત જ ગાંધીજી એ તેમણે ‘ રાષ્ટ્રીય શાયર ’ તરીકે ઓળખાવ્યા.  ‘ રસધાર’ ની ‘ભાઇ’, ‘ચમારના બોલે’, તથા ‘કાનિયો જાંપડો ’ વાર્તાને આ દ્રષ્ટિબિંદુથી મૂલવી શકાય. દુષ્કાળ ટાણે સગો ભાઇ ફરી જતાં જોગડા હરિજને આયરાણીને મદદ કરી. જોગડાના મ્રુત્યુ ટાણે બાઇએ આકાશને રોવરાવ્યું!
                        ” નાતે કાંઇ નેડો નહીં, તું વણકર ને હું વણાર !
                     તારી જાત ન જોઉં જોગડા તારા ગણને રોઉં ગજમાર. ”
ગાંધીજીના રાષ્ટ્રીય શાયરનો અર્થ એ હશે કે રાષ્ટ્રના જે બે વિભાગો પડી ગયા છે – ભણેલા અને અભણ – એ બેને સાંકળી શકે તે ‘ રાષ્ટ્રીય શાયર ’. એ બે વચ્ચેની, જો મેઘાણીની ભાષામાં કહીયે તો..
                                હે જી ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી,
                                મનડાની આખરી ઉમેદ.
આ જે ખોટી દીવાલ ઊભી કરી છે તે દીવાલને મારે તોડી નાખવી છે. આ બન્યુ ત્યારે મહાત્મા ગાંધી નહોતા જ્ન્મ્યા.
પણ ત્યાંથી ખાલી હાથે પાછા આવ્યા ત્યારે તેમણે ‘ માતા તારો બેટડો આવે ’ લખેલું તે એટલું જાણીતું નથી, પણ સચોટતાની દ્રષ્ટિએ સ્મરવા સમું છે.
‘ ધાઓ ધાઓ, ધેનુપાળ ! ’ એવા તે દી ઉઠશે રે હાહાકાર,
શાદુલાને સાંઢ માતેલા ઢૂંગે ઢૂંગે ભાગશે ભેળા.
દેશદાઝને જાગ્રૂત કરતું અને દેશલાજને નાબૂત કરતું ‘ કસુંબીનો રંગ ’ અને તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વસ્તલતા ભરી ! દેશભરમાં આ ગીત દ્વારા મેઘાણીએ ગાંધીજીની ‘ અહિંસા અને સહકારની ’ અખંડિડતા રજુ કરી છે.  સરદાર પટેલે તો મેઘાણીને ભારતની સ્વતંત્રતાના યુદ્ધના એક અગ્રગણ્ય સૈનિક ગણાવ્યા હતા. તેમની વાણીમાં વિરતા હતી.
ઉમાશંકર જોશી લખે છે. “ મેઘાણીની પ્રતિભા મૌલિક (original) નહીં પણ ઇતરોત્થ (Derivative)  હોવી જોઇયે.”
માડી! હું તો બાર બાર વરસે આવિયો, માડી! મેં તો નો દીઠી મારી પાતળી પરમાર્ય,
રે જાડેજી મા ! મોલું માં દીવો શગ બળે રે !
એ વેદનાગાન મેઘાણીના મેઘનાદી ગળામાંથી ઘૂંટાઇને ગગનમાં છવાય ત્યારે ઓરત – મરદ સૌની આંખો ચૂતી હોય. ડળક... ડળક... ડળક...પાણી પડતાં હોય!
મેઘાણીની સોરઠી જીવનની વાતાવરણ પ્રધાન નવલકથા: સોરઠ તારા વહેતા પાણી:  ‘ નાયક નહિ, નાયિકા નહિ, પ્રેમનો ત્રિકોણ નહિ’ એવી આ કથામાં નાયક આખો જન સમાજ છે.
ગુજરાતના ખેડા જીલ્લાની બારૈયા-પાટણવાડિયા કોમના બહારવટિયાઓના જીવન પર આધારિત ગુજરાતના લોકસેવક રવિશંકર મહારાજના સ્વાનુભવ અને તેમના મુખેથી સાંભળીને આલેખાયેલુ : ‘ માણસાઈના દીવા ’. ૧૯૪૬માં તેમના આ પુસ્તકને મહીડા પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું અને તે જ વર્ષે તેમને ગુજરાત સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના પ્રમુખ નીમવામાં આવ્યા હતા.
લોકગીતો, લોક-સુરો અને લોક-ઢાળોએ મેઘાણીની કાવ્ય પ્રવૃતિને વેગ આપ્યો. સોરઠી ગીતોની તાજગી અને ક્યાંક કવિતાનો બુલંદ નૈસર્ગિક આવિષ્કાર આપતો કાવ્યસંગ્રહ: ‘ યુગવંદના કુલ પાંચ ખંડમાં વહેચાયેલો આ સંગ્રહ ‘ છેલ્લો કટોરો ’, કસુંબીનો રંગ ’ , ‘ સૂના સમદરની પાળે ’ જેવી યશસ્વી રચનાઓ આપે છે. એમાંય ‘ સુના સમદરની પાળે ’ માં લોકગીતનો લય સર્જક કક્ષાએ ચઢી કાવ્યની રમ્ય આકૃતિ કંડારી આપે છે.
                       નો’તી એની પાસ કો માડી, રે નો’તી એની પાસ કો બેની:
             વ્હાલાના ઘાવ ધોનારી, રાત રોનારી કોઇ ત્યાં નો’તી રે, સૂના સમદરની પાળે..
મુંબઇના કોઇ એક સાક્ષરે કાઠિયાવાડ – ગુજરાતની ભુમિમાં કવિઓને પ્રેરણા સ્ફુરે એવું કશું રહ્યું નથી એટલે તેની શોધમાં કાશ્મીર જવું પડે છે તેવો નિ:શ્વાસ નાખેલો...આ મહેણું પુરવા અને કાઠિયાવાડ – ગુજરાતની પિછાન આપવાનો મેઘાણીભાઇનો પ્રયાસ એટલે ‘ સૌરાષ્ટ્રની રસધાર ’તેમાં સોરઠી જનસમુદાયનાં વેર અને પ્રેમની, બંધુતા અને ધિક્કારની, દગા અને દિલાવરીની કોમળ, કરુણ અને ભીષણ લાગણીઓવાળી વાર્તાઓનું સંપાદન છે.
ગાંધીજી કે ભગતસિંહની લડતને બિરદાવનાર મેઘાણીની કલમ સરકારના ચોપડે હરામખોર ગણાતા, બ્રિટિશ ઈતિહાસે ડાકુ અને ગુંડા સાથે જેમને બેસાડેલા તેવાં લુટારાઓની જવામર્દી અને હત્યારાઓની નેકીને વર્ણવતી ચાર બહારવટિયાઓની કથાઓનો સંગ્રહ ‘ દરિયાપારના બહારવટિયા ’ છે. એ એશ્ટન વુલ્ફના પુસ્તક ‘ ધ આઉટલોઝ ઓફ મોર્ડન ડેઝ ’ની સત્યઘટનાની વાર્તા પરથી છે.
‘ વેવિશાળ ’ ધનિક બની ગયેલ કુટુંબની કન્યાના ગરીબ ઘરે થયેલા વેવિશાળમાંથી ઉભી થતી સમસ્યાની સામાજીક નવલકથા છે.
૧૯૨૮માં રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો. આ એવોર્ડ મેળવનાર તેઓ પહેલા હતા. તે વેળાએ તેમણે કહ્યું કે “ અભ્યાસીઓને ગૌરવદાન કરવાનું ગુજરાત પાસે જે એક જ માન છે તે રણજીતરામ સુવર્ણચંદ્રકનું પહેલું દાન લોકસાહિત્યના ખેડાણને થયું.”
અંગ્રેજ સરકાર સામેના આઝાદીના જંગ વેળાએ રાજદ્રોહના ખોટા આરોપસર ઝવેરચંદ મેઘાણીની ધરપકડ કરી ધંધુકાની વિશેષ અદાલતમાં રજૂ કર્યા ત્યારે કોર્ટની અનુમતિ મેળવીને ‘ સિંધુડો ’ માંનું દર્દભર્યું ગીત ‘ હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ ’ એમણે ધીરગંભીર અવાજે ગાયું...અને ઉપસ્થિત સેંકડો માનવમેદની ભીની થયેલ આંખો રુમાલ, પહેરણની ચાળો અને સાલુના પાલવો નીચે છુપાઇ તથા મેજીસ્ટ્રેટની આંખો પણ આંસુભીની થઇ હતી.
મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાંઓ, સમર્પણ એ સહુ તારે કદમ, પ્યારા પ્રભુ ઓ !
પ્રભુજી! પેખજો, આ છે અમારું યુદ્ધ છેલ્લું,  બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું..
 
‘ કોઈનો લાડકવાયો ’ એ ‘ Marie Ravenal de la Coste ’ ના કાવ્ય ‘ Somebody’s Darling ની કૃતિ છે. મેઘાણીભાઇનું લાડકવાયું ગીત...
                             કો’ની વનિતા, કો’ની માતા, ભગિની ટોળે વળતી,
                           શોણિતભીના પતિ-સુત-વીરની રણશય્યા પર લળતી,
                             મુખથી ખમા ખમા કરતી માથે કર મીઠો ધરતી.
‘ રઢિયાળી રાત ’ સમાજ માટે પોતીકાંનો ભોગ આપવો પડે એવી બલિદાનની ભાવનાનું ગીત....’ બારબાર વરસે નવાણ ગળાવ્યાં...’, અને બહેન ભાઇને ઓળખે છે ત્યારે... ” ઓળખ્યો ઓળખ્યો રે માની આંખ્યુંને અણસાર, બાપની બોલાશે વીરને ઓળખ્યો રે.... તેમની વાર્તા અને ગીતો હૈયું પખાળે છે.
દરિયો ડહોળી - સૌરાષ્ટ્રને ગામડે ગામડે ફરી ભેગા કરેલ લોકસાહિત્યનું સંપાદન એમણે સાહિત્યિક દ્રષ્ટિને મુખ્ય રાખી શિષ્ટભોગ્ય રૂપમાં આપણી પાસે મુકી એમાંથી જીવનના કેટલાક મુલ્યો, જીવનના કેટલાક કેડા, જીવનના કેટલાક પ્રકાશસ્થંભો એમણે આપણી પાસે ખડા કર્યા છે. આનાં અજવાળાઓમાં સૌરાષ્ટ્ર અને કાંઈક અંશે ગુજરાત પણ, ખાનાદાનીભરી એકતાના અમીઘૂંટ પી શક્યું.  
તેમના ગીતો-વાર્તાઓમાં ‘હું’ બદલે ‘ અમે ’શબ્દ વધારે જોવા મળે છે.’ સાહિત્યકારની તપશ્રર્યાને એમણે ધુળમાં મેળવનાર – ધુળવાળા થવાની ગણાવી. એક સાહિત્યકાર, વક્તા, લોકસાહિત્યના સંશોધક, પત્રકાર, સ્વતંત્ર સેનાની અને ગાયક તરીકે તેમનું વિશિષ્ટ પ્રદાન ક્યારેય વિસરાશે નહી.  ગુજરાતી ભાષા – સાહિત્યના જાડ માથે કવિઓના જે ઝમખડા છે, એ ઝમખડામાં એક રાતું ફૂલ મેઘાણી છે. આંતરબાહ્ય ઝંઝાવાતો વચ્ચે ભીતરના અતાશને એ જાળવી શક્યા – જીરવી શક્યા. જાહેરજીવનમાં ખોટી બાંધછોડ કર્યા વગર પોતાને સમજાયેલ સત્યને વળગીને અણનમ ઉભા રહ્યા. ધરતીના માણસો વચ્ચે એમની લાલસા હતી તે રીતે, સામાન્ય માણસ તરીકે જીવી ગયા – અને ?- અસામાન્ય મધુરપ રેલાવી ગયા. કાકાસાહેબ કાલેલકરે મેઘાણીભાઇને શ્રદ્ધાજંલિ આપતા કીધું હતુ કે “ઝવેરચંદ મેઘાણી વધારે જીવ્યા હોત તો સાહિત્યની ઘણી સેવા કરત. ઘણું જીવવાનો એમનો અધિકાર હતો.”  સ્વામી આનંદની વ્યથા: “ગુજરાત ખરેખર રાંકડી : રતન એને રહ્યુ નહિ .”
મોરબીના કવિ રતનદાન મીસણને કેવાં રુપક સૂઝે છે ! દેવલોકની સભામાં ચર્ચાયું થાય છે કે ગાંધર્વ આદિનાં સંગીત રોજ સાંભળીએ છીએ, પણ હવે કોઇ મરતલોકના કવિ તેડાવીયે. દૂત તેડું લઇને જાય છે:
હાલો કવિ હરિ પાસે, એમ કહેવા આવ્યો કાળ,
ફરમાન ઇંદરનું આપિયું, વાંચ્યું શાયર વા’લે.   

સતીષ શામળદાન ચારણ
(મો.) 94282 19031
sscharan_aaa@yahoo.co.in